06/10/2021
મચ્છેન્દ્રનાથ અને ગોરખનાથની કથાઓ ગિરનાર ઉપર ગોરખનાથની ટૂક સાથે, તેમજ ગિરનાર પરકમ્મા માર્ગમાં અનેક સ્થળે છે. વિક્રમનો સાથી વેતાળ ભટ્ટ મૂળ ગિરનારનો છે. પગથિયાં પાસેની ‘ચડાવાવ’ મૂળમાં ‘વેતાળવાવ’ છે. તે અવગતે ગયેલો શક્તિશાળી જીવ છે. વીર વિક્રમે તેને વશ કર્યો અને અશક્ત યાત્રાળુઓને પોતાના ખંભે સેસાડીને અંબાજીની યાત્રા કરાવવાનું કામ સોંપ્યું. આજની વાવ ઉત્તર ગુજરાતના પાટણના રાજમાતા મીનળદેવીએ બંધાવ્યાની માન્યતા છે. મીનળદેવી વેતાળ સ્થાનની ડોળીમાં બેઠા હતા. આ સમયે ડોળી માટેની કોઇ વ્યવસ્થા થઇ હશે અને યાત્રાળુઓ ડોળીમાં ચડતા હશે તે ઉપરથી ‘ચડાવાવ’ એવું એનું નામ પ્રચારમાં આવેલું જણાય છે.
વિક્રમ સાથે સંબંધિત એક વિરલકથા પણ ગિરનાર સાથે જોડાયેલી છે. કહે છે કે વિક્રમના દરબારમાં નવ રત્નો હતા. આ નવરત્નોમાંના એકની ચમત્કારિક કથા સોનરેખ ઉપર આવેલાં ‘નારાયણધરો’ સાથે સંકળાયેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રીજી મહારાજે અહીં સ્નાન કરેલું એટલે હાલ, આ ‘ધરો’ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ‘પ્રસાદી’રૂપ મનાય છે. અને એનો વિશેષ મહિમા સાંપ્રદાયિક તીર્થ તરીકે છે; પરંતુ પૌરાણિક કથા બ્રહ્માજી સાથે અને ઐતિહાસિક કથા કર્પરનાથ સાથે સંકળાયેલી છે. બ્રહ્માજીએ જીવંત શ્રાદ્ધ (ઘટપર્યસન) અહીં કરેલું. કર્પર નામના નાથ સાધુએ ઘડાની ઠીકરીના પાણીથી કાંઠે બેઠા બેઠા ચમત્કારિક સ્નાન કરેલું. ’કર્પરનાથ’ એટલે ઠીકરીનાથ. નાથ સાધુઓ માને છે કે ઠીકરીનાથ વિક્રમના દરબારમાં એક રત્ન હતા. વાસ્તવમાં આ કથાઓ વિકૃત થયેલી એક ઐતિહાસિક ઘટનાનું બીજ ધરાવે છે. વિક્રમના નવરત્નોમાં કાલિદાસ અને વરાહમિહિર એટલા પ્રસિદ્ધ છે કે પછીના રત્નોના નામ સુદ્ધાં વિસારે પડેલાં છે. સંસ્કૃત સાહિત્યના ઈતિહાસ મુજબ મહાકવિ કાલિદાસની સાથે ‘ઘટકર્પર’ નામના એક બીજા કવિ પણ હતા, જેણે ‘મેઘદુત’ની પહેલા એક ‘દૂતકાવ્ય’ લખેલું છે. આ કવિએ દૂતકાવ્ય લખ્યા પછી જાહેર કરેલું કે આ કાવ્યની તોલે આવે એવું કાવ્ય જો કોઇ કવિ રચી શકશે તો પોતે તે કવિ માટે ઘડાની ઠીકરીમાં પાણી ભરીને લાવી આપશે. કવિની આવી પ્રતિજ્ઞાથી જ તેનું નામ ‘ઘટકર્પર’ (ઘડાની ઠીકરી) એવું પ્રચલિત થઇ ગયેલું છે ! કથા સાહિત્યની આવી વિચિત્રતાઓનો ભંડાર ગિરનાર છે.
Part 2